ભરૂચ, તા. ૧૯/૧૧/૨૦૨૫: ગુજરાત પોલીસના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના વિશેષ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજની ખાસ સૂચનાના પગલે, ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા એક અસરકારક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
પો.સબ.ઇન્સ. આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળની ટીમે ઉમલ્લા પો.સ્ટે. ગુ.ર.નં-૧૦૮/૨૦૧૮ હેઠળ નોંધાયેલા છેતરપિંડી (IPC કલમ ૪૨૦, ૧૧૪)ના ગુનામાં છેલ્લા સાત (૦૭) વર્ષથી ફરાર રહેલા બે લીસ્ટેડ આરોપીઓને પકડવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમને બાતમી મળી કે મુખ્ય આરોપી દિલીપભાઈ ઘૂસાભાઈ ઠુમ્મર તેના સુરત સ્થિત રહેણાંક પર આવેલો છે.
1. પહેલી ધરપકડ (સુરત): પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ તુરંત સુરત જિલ્લાના કામરેજ ખાતે પહોંચી અને આરોપી દિલીપભાઈ ઘૂસાભાઈ ઠુમ્મર (રહે. પટેલનગર, કામરેજ, જી. સુરત; મૂળ રહે. અનિડા ગામ, જી. અમરેલી) ને તા. ૧૮/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૦૬:૦૦ કલાકે ઝડપી પાડ્યો.
2. બીજી ધરપકડ (ભરૂચ): ત્યાર બાદ બીજા આરોપી ભીખીબેન ઉર્ફે ગીતાબેન અજયસંગ વસાવા (રહે. બાપજી ફળીયું, ઉમલ્લા, જી. ભરૂચ) ને પણ તા. ૧૮/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તેના ઉમલ્લા સ્થિત ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે ઉમલ્લા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે.
આ પડકારજનક અને પરિણામલક્ષી કામગીરી પો.સબ.ઇન્સ. આર.એસ. ચાવડા, હે.કો. ભોપાભાઈ ગફુરભાઈ ભૂંડિયા, પો.કો. શામજીભાઈ કોળચાભાઈ ભીલ, પો.કો. સરફરાજ મહેબુબ ગોહીલ અને પો.કો. અજયસિંહ અભેસિંહ પરમાર સહિત પેરોલ ફર્લો સ્ક્વોડની સમગ્ર ટીમના ઉત્કૃષ્ટ ટીમવર્ક દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.